વૈશ્વિક સંસ્થા અલ્ઝાઇમર ડિસીઝ ઇન્ટરનેશનલ દ્વારા "અલ્ઝાઇમર ડિમેન્સિયા" અંગેની આંતરરાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાને "વિશ્વ અલ્ઝાઇમર મહિના" તરીખે ઉજવવામાં આવે છે, જેથી આવા મગજના ગંભીર રોગ વિષે લોકોમાં જાગૃતિ આવે. વિશ્વ અલ્ઝાઇમર મહિનો ૨૦૧૨ માં શરુ થયો હતો અને "વિશ્વ અલ્ઝાઇમર દિવસ" ૨૧ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે.
વાચકમિત્રો, આ વર્ષની થીમ મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં દર 3 સેકન્ડમાં એક વ્યક્તિને ડિમેન્શિયા થઇ રહ્યો છે; જો કે,વૈશ્વિક સ્તરે દર ૩ લોકોમાંથી ૨ લોકોમાં તેમના દેશોમાં ડિમેન્શિયાની બહુ ઓછી અથવા કોઈ સમજણ જ નથી. ડિમેન્શિયાના દર્દીઓ વિશેનું સામાજીક કલંક અને એના વિષેની ખોટી માહિતી વૈશ્વિક સમસ્યા છે જેને દૂર કરવી જરૃરી છે. ડિમેન્શિયા એટલે કે ચિત્તભ્રમ એ ઉમર સાથે થતો કોઈ સામાન્ય રોગ નથી, તે થાય છે ત્યારે મગજને એક ચોક્કસ રોગ દ્વારા અસર થાય છે. ડિમેન્શિયાના દર્દીમાં અલગ અલગ અસર જોવા મળે છે, જેમકે યાદશક્તિ, એકાગ્રતા, દિશાઓની ઓળખ, સ્વભાવ, વર્તન, વાણી અને ભાષા સહીતની સમસ્યાઓ થઇ શકે છે. ડિમેન્શિયા ક્રમશઃ આગળ વધી શકે છે તેથી સમય જતા દર્દીની તકલીફો ખુબજ વધી શકે છે. ડિમેન્શિયા મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે, જેમાં સહુથી સામાન્ય અલ્ઝાઈમર્સ ડિમેન્સિયા જોવા મળે છે.
એક તરણ મુજબ ૨૦૧૮માં ડિમેન્શિયા સાથે જીવતા ૫૦ મિલિયન લોકો છે, અને જો ડિમેન્શિયાના જોખમી પરિબળોને ઘટાડવાની અસરકારક વ્યૂહરચનાઓ લાગુ નહિ પડે તો ૨૦૫૦ સુધીમાં ૧૫૨ મિલિયન સુધીનો વધારો થઇ શકે છે. વિશ્વભરમાં ડિમેન્શિયા ધરાવતા મોટા ભાગના લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. એટલા બધા દર્દીઓની સારસંભાળ કરવામાં પુષ્કળ ખર્ચો થઇ શકે છે. ડિમેન્શિયાનું વહેલી તકે નિદાન થઇ શકે તો ઘણા બધા ફાયદા રહે, અને દર્દીની સારસંભાળ સારી રીતે થઇ શકે છે.
નીચેના કેટલાક મુદ્દાઓ ડિમેન્શિયા થવાના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે.
૧.) તમારી જીવનશૈલી બદલો.હદયરોગ નો હુમલો ના આવે એ માટે બ્લડપ્રેસર, ડાયાબિટીસ,કોલેસ્ટેરોલ અને સ્થૂળતાને કાબુમાં રાખો તથા ધુમ્રપાન ના કરો કેમકે હદયરોગના હુમલા પછી વાસ્ક્યુલર કારણોથી ડિમેન્શિયા થઇ શકે છે.
૨.) નિયમિત કસરત કરો. એવું જોવામાં આવ્યું છે કે નિયમિત કસરત કરવાથી અને ખાસ કરીને કુટુંબના સભ્યો અને મિત્રો સાથે એમ નિયમિત વ્યાયામ કરવાથી ડિમેન્શિયા થવાનું જોખમ ઘણું ઘટી જાય છે. ખાસ કરીને ચાલવું અને ડાન્સીંગ એટલે કે નાચવું સહુથી સારી કસરત છે.
૩.) તંદુરસ્ત અને સમતોલ આહાર લો. મેડિટેરેરિઅન ડાયટ કે જેમાં ફળફળાદિ, શાકભાજી અને કઠોળ વધુ હોય. વધુ પડતો ચરબીવાળો તથા ગળપણ અને નમક ઓછું લેવું જોઈએ.
૪.) મગજને સતત કસરત મળે એમ નવું નવું શીખવું જોઈએ, જેમકે કોઈ નવી ભાષા શીખવી જોઈએ, કોઈ નવો શોખ કેળવવો જોઈએ, બંને હાથથી લખવાની ટેવ પાડવી જોઈએ, ગુથણકાર્ય કરવું જોઈએ, નવા નવા પુસ્તકો વાંચવા અને લેખનકાર્ય કરવું, કોઈ સંગીતવાદ્ય વગાડતા શીખવું જોઈએ વગેરે. એમ કરવાથી ભવિષ્યમાં મગજની તંદુરસ્તી જળવાઈ રહે અને ડિમેન્શિયા સામે રક્ષણ મળી શકે છે.
૫.) તાજેતરના સંશોધન મુજબ બગીચામાં કામ કરવાથી જુદા જુદા છોડને અલગ અલગ જગ્યાએ રોપવાનું આયોજન કરવાથી મગજને કસરત મળે છે અને ખાસ કરીને નિયમિત ગાર્ડનિંગથી અલ્ઝાઇમર ડિમેન્શિયા સામે રક્ષણ મળે છે. એક અભ્યાસ અનુસાર ૬ મહિના સુધી નિયમિત ગાર્ડનિંગ કરવાથી, આગળ જતા ૧૮ મહિના સુધી ડિમેન્સિયાના દર્દીઓમાં થતો સમજણશક્તિનો ઘટાડો રોકી શકાયો હતો.
૬.) સમાજમાં બધા લોકો સાથે હળીમળીને રહેવાથી મગજની તંદુરસ્તી ખીલે છે અને મગજનના રિઝર્વ ભાગનો વપરાશ વધે છે જેથી ડિમેન્શિયાનું જોખમ ઘટી શકે છે.
૭.) ભવિષ્યમાં ડિમેન્શિયા ના થાય એના માટે જીવનમાં પૂરતી ઊંઘ લેવી બહુજ જરૂરી છે. સાથે સાથે નિયમિત મિડિટેશન, યોગા, પ્રાણાયમ અને પ્રાર્થના કરવાથી મગજની તંદુરસ્તી સારી રહે છે.
અંતે યાદ રાખો કે જો તમે ડિમેન્શિયાથી પીડાતા હોવ તો તમે એકલા નથી. તો આવો આવા દર્દીઓ માટે વધુ હકારાત્મક અભિગમ અપનાવીએ અને તેમના પરિવારનુંજ નહિ પણ તેમના મિત્રો અને સમાજનું પણ તેમને સમર્થન મળે તે માટે "વિશ્વ અલ્ઝાઇમર દિવસ" ના સંદેશને વધુને વધુ લોકો સુધી પહોંચાડી જનજાગૃતિ લાવીએ.
ડો. શૈલેષ દરજી
૯૮૯૮૧૮૫૩૬૦